Sunday, August 23, 2020

જીંદગી એક સંઘર્ષ

                        આ જીવનમાં બાળવસ્થામાં રમતગમતમાં જીત મેળવવા, કિશોરાવસ્થામાં પ્રવેશ થતાં ભણતરમાં, પાકટવયે નોકરી કરતાં કે ધંધામાં અથવા કારખાનામાં ઉભી થતી તકલીફો તથા જીવનસંધ્યામાં પડતી મુશ્કેલીઓનો સામનો કરવા દરેકે સંઘર્ષ કરવો પડે છે.

                       સંઘર્ષ જીવનનું એક પાસું બની ગયું છે. 
            
                       આજના આ આધુનિક યુગમાં ડગલે ને પગલે દરેક માનવીએ જુદા જુદા સંદર્ભમાં સંઘર્ષ કરવો જ પડે છે. માનવીને ખાધાખોરાકી વગર ચાલે નહીં, તેમ સમાજમાં રહેવા માટે ગમે તે સમયે, કે ગમે તેવા સંજોગોમાં કે ગમે ત્યાંથી આવતી સમસ્યાને હલ કરવા લોકોએ સંઘર્ષ કરવો જ પડે છે અને સજાગ રહેવું પડે છે. જો ગભરાયા તો કામથી ગયાં. આજે લોકો પડતાને પાટું મારતા હોય છે. 
             
                      પુરુષ હોય કે સ્ત્રી, મા હોય કે બાપ, દીકરો હોય કે દીકરી, બાળક હોય કે વૃદ્ધ હોય, સંસારી હોય કે સાધુ, નેતા હોય કે અભિનેતા હોય, ભાડુઆત હોય કે મકાનમાલિક, વેપારી હોય કે નોકરિયાત સર્વેને સમસ્યા ઉભી થતા તેનો મુકાબલો કરવા સંઘર્ષ કરવો જ પડે છે. જે વ્યક્તિ સંઘર્ષ કરવાને શક્તિમાન નહિ હોય તો તે નબળો ગણાય છે અને ઢીલો તથા ભલો લાગે છે તથા તે જિંદગીમાં પાછા પડતો હોય છે. સંઘર્ષ એવી લડત છે કે પોતાનો હક સિદ્ધ કરવા તથા વચ્ચે આવતી અડચણો દૂર કરવા માટે લડાય છે. 

                     કોઈ વખત સંધર્ષમાં ઉતરતા પોતાનો અહ્ મ ઘવાય છે અને યેન કેન પ્રકારે પોતાનું જ હિત જાળવવા પ્રયત્ન કરે છે. પોતે કોઈક વખત સમજતો પણ હશે કે આ બરાબર નથી પરંતુ એક વખત આગળ ગયા પછી પાછું કેમ જોવાય? ઉગામેલી તલવાર પાછી મ્યાનમાં કેમ મુકાય? 

                    સંઘર્ષમાં પુરુષાર્થ ઘણો મોટો ભાગ ભજવે છે. પોતાનું ધ્યેય સફળ કરવા પુરુષાર્થ કરવો પડે છે તથા પોતાનું મનોબળ પણ સંઘર્ષ કરવામાં ઘણો મોટો ભાગ ભજવે છે. 

                    કોઈને આર્થિક સમસ્યા હોય તો કોઈને ધંધાકિય સમસ્યા હોય, કોઈને સામાજિક હોય તો કોઈને કૌટુંબિક સમસ્યા હોય, તો કોઈને ભણતરમાં સમસ્યા હોય તો કોઈને રમતગમતમાં સમસ્યા હોય ત્યારે તે સમસ્યાનો ઉકેલ લાવવા તથા યોજના પાર પાડવા સંઘર્ષ કરવો જ પડે છે. કોઈક સંજોગોમાં સંઘર્ષ વ્યાજબી હોય તો અમુક સંજોગોમાં બિનવ્યાજબી હોય છે.

2 comments:

  1. Right...આજના યુગમાં સંઘર્ષશક્તિ અને સહનશક્તિ કેળવવી જરૂરી છે જે જીવન નિત-નવા અનુભવથી શીખવી પડે છે .

    ReplyDelete
  2. સાચી વાત કહી પણ આજે આપણે જોઈએ છીએ કે આપણા યુવાનો વિપરીત દિશા મા જઈ રહ્યા છે

    ReplyDelete

લોભી સિંહની વાર્તા

    લોભી સિંહની વાર્તા ઉનાળાના એક દિવસે જંગલમાં એક સિંહને ખૂબ ભૂખ લાગી. તેથી તેણે અહીં અને ત્યાં ખોરાક શોધવાનું શરૂ કર્યું. થોડીવાર શોધ્યા પ...